“ચિત્રલેખા” જૂન ૨૭, ૨૦૧૧ ના અંકમાં ‘ઝલક” કોલમ અંતર્ગત શ્રી સુરેશ દલાલનો લેખ, “ ઝૂરવું ગમે એવી મૌસમ” વાંચતાં અનુભવેલા ભાવ પ્રસ્તુત રચનામાં નિરૂપાયા છે.
‘ઝુરવું’ એ ફક્ત ક્રિયાપદ નથી, કે ઝૂરાપો એ શબ્દજ નથી. તે એક સંપૂર્ણ વાક્ય છે, એક સંપૂર્ણ કવિતા છે, એ સંપૂર્ણ રીતે ભાવને ચિત્ર રૂપે આપણા માનસપટ ઉપર ઉપસાવે છે.
‘હરિ-ઝૂરાપો’ એ હરિને મળવાની તિવ્ર ઉત્કંઠા છે. આને મેં ઝરણું થઈને વહેતી નદીનું રૂપ કલ્પ્યું છે. જેમ નદી કંઈ કેટલાય અવરોધોને (સુખ-દુઃખને), પાર કરતી સાગરમાં ભળી જાય છે એમ હરિ મારા ઝૂરાપાને, મને અનંત સાગર રૂપે, પોતાનામાં એક અંગ (એકાંગ) કરી સમાવી લેશે. પછી મારુ અસ્તિત્વ નહીં રહે.
હરિ-ઝૂરાપો
હરિ-ઝૂરાપો ઝરણું થઈને વહેતો,
ઝરણે ઝરણે જમુના થઈને,
વ્રજભૂમિમાં ફરતો….હરિ-ઝૂરાપો.
કાદવ આવે કંકર આવે,
ખિણ આવે કે પર્વત આવે,
અનંત ભણી ખળખળતો…. હરિ-ઝૂરાપો.
વિહંગ સૂરે રાગ છેડીને,
તરુવર ખડને કાંઠે ધરીને,
વનમાળીની વાતો…. હરિ-ઝૂરાપો.
મીન મગરને કછુઆ ભેળો,
નાવ ભરીને માનવ મેળો,
ધરણીધરને ગાતો…. હરિ-ઝૂરાપો.
હરિ-સાગર છે સ્વામી મારો,
ઊછળી કરશે સ્વાગત એવો,
‘સાજ’ એકાંગે મળતો…. હરિ-ઝૂરાપો.
‘સાજ’ મેવાડા