મિત્રો,
આખરે મારો કાનો રિઝ્યો, મારા ઉપર! એના પ્રેમના સંકેતો મળ્યા, અને આ રચના થઈ છે. ગોકુળની એક વિરહઘેલી ગોપી કાનાના અંગત-સ્નેહીઓને, મિત્રોને અને અન્ય ગોપીઓને પૂછે છે, “કાનો ગોકુળમાં ક્યારે આવશે?” પણ અન્ય પણ કાનાની જવાની વેદનામાં સામે એવો જ પ્રશ્ન પૂછે છે. આખરે રાધાજી શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણે કહેલી વાત દોહરાવે છે, કે કાનો હવે ભક્તોના પ્રેમ થકી તેમનો આર્તનાદ સાંભળીને આવશે.
“કાનો ગોકુળ માં ક્યારે આવશે?”
નંદ જશોદાને એમજ પૂછી લીધું, “કાનો ગોકુળ માં ક્યારે આવશે?”
આશભરી આંખ લૂંછી જશોદાએ કીધું, “મારી ધેનુંને આવી ચરાવશે?”
ભેરુ ગોવાળને વાતોમાં પૂછી લીધું, “કાનો ગોકુળ માં ક્યારે આવશે?”
અજવાળી રાતમાં યમુનાના તટ પર, “દડો રમવાને ક્યારે આવશે?”
ગાયોને ખડ દેતી ગોપીઓને પૂછી લીધું, “કાનો ગોકુળ માં ક્યારે આવશે?”
મહીડાં વલોવી શીંકે મેલ્યાં છે, “મટકી ફોડવાને ક્યારે આવશે?”
રાધાજી બાવરીને કોણ પૂછે સીધું, “કાનો ગોકુળ માં ક્યારે આવશે?”
કાનો વસ્યો છે મારા રુદિયામાં “સાજ”, “ભક્તોની આર્ત સુણી આવશે.”
“સાજ” ંમેવાડા