88…એના હૈયામાં રાજ કરે રાધા.
માનનિય બ્લોગ મિત્રો,
દ્વારિકામાં જઈ વસેલા શ્રી કૃષ્ણ બધી સુખ-સાહ્યબીમાં રહેવા છતાં ગોકુળનું બાળપણ અને એમની પ્રિય સખી રાધાને ભૂલ્યા નથી. રાધાજીના પ્રેમ અને વિરહ ઉપર ઘણી રચનાઓ થઈ છે પણ શ્યામ, દ્વારકાના નાથ, રાજાધિરાજની વેદનાની વાતો ઓછી થઈ છે. મેં આ રચનામાં પ્રયત્ન કર્યો છે કંઈક એવો ભાવ રજુ કરવામાં. જોકે હું સંપુર્ણ સફળ થયો નથી, એ દેખાઈ આવશે!
‘સાજ’ મેવાડા
“જેઓ છૂટાં પડી શકે તે બીજા ગમે તે હોય, રાધા અને કૃષ્ણ તો નહીં જ”
–ગુણવંત શાહ ( કૃષ્ણં શરણં ગચ્છામિ માંથી )
****************************************************
…એના હૈયામાં રાજ કરે રાધા.
દ્વારકાનો નાથ મારો રાજાધિરાજ, એના હૈયામાં રાજ કરે રાધા,
હિરના હિંડોળે રુકિમણી ઝૂલાવે, એના હૈયાના ઝૂલે, ઝૂલે રાધા.
દ્વારકાના મહેલમાં યાદ આવે રાધાતો, કનક થાળીને દૂર ઠેલતા,
વગડામાં બેસી એણે રાધાના હાથથી, માખણ મિસરી છે ઘણા ખાધા.
પારિજાત ફૂલ રુકિમણીને પ્રેમથી, નારદની ભેટ ગણી આપતા,
સખી રાધાના વિખરેલા કેશમાં, કેવાં વેણીમાં ફૂલ ગૂંથતા?
રાધાને શ્યામ કદી જૂદા ના હોય ‘સાજ’, ગોકુળીયુ હોય કે દ્વારકા,
જન્મારે જન્મારે રાધાને શ્યામ તો, ભક્તોની આર્ત સુણી આવતા.
-‘સાજ’ મેવાડા