મારા ઘણા મિત્રોને લાગતું હશે કે, ‘સાજ’ ભજન લખવાનું છોડીને ગઝલ પ્રત્યે કેમ વળી ગયો?
મારો જવાબ એ છે કે, કવિ, (હજી, ના કહો તો ચાલશે) જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોતો, અનુંભવતો હોય એજ લખે છે. આની લાંબી ચર્ચા કરતો નથી, પણ કોઈપણ સાહિત્યકાર, પછી તે કવિ હોય કે નવલકથાકાર, સાંપ્રત સમયના બનાવો, અંગત અનુંભવોને પોતાની સમજ, ઘડતર અને ભણતર પ્રમાણે વર્ણવી લખતો હોય છે. આ એક સત્ય છે, જે મારા પ્રતિષ્ઠિત ને નિવડેલા કવિ અને લેખક મિત્રો પણ સ્વિકારશે, એમાં બે મત નથી.
તો ચાલો આજે એક નવા અનુંભવની ગઝલ આપના પ્રતિભાવો માટે સાદર રજું કરું છું.
ખાસ નોંધ – બે દિવસ પહેલાં મારા એક અંગત મિત્રના માતાજી દેવલોક સિધાવ્યા, એમની અંતિમ ક્રિયા માટે હું ૨-૩ કલાક સ્મશાનમાં રોકાયો હતો, એ દરમ્યાન મેં જે અનુંભવ્યું અને જે વિચારો આવ્યા એના પર આ ગઝલ રચાઈ છે.
—જવાદેજો.
હૃદયના સૌ સંબંધોને જવા દેજો,
પછી ધીરે જનાજાને જવાદેજો.
સભામાંથી ભલે ચાલ્યો જવાનો છે,
સવેળા પાછલા દ્વારે જવા દેજો.
કપાયા જંગલોમાં, એક વૃક્ષ જે-,
સિંચેલું છે, વસંતે ફોરવા દેજો.
ઘણા કીધા, કરેલા કેસ જે ખોટા,
લખી, ‘નિર્દોષ છે’, છોડી જવા દેજો.
કદી એની જડે જો કોઈ નિશાની,
ડૂબાડી ‘સાજ’ ગંગામાં જવા દેજો.
-‘સાજ’ મેવાડા